આ પાછો ઇતિહાસ ક્યાંથી આવ્યો? અને એ પણ ભવાઈનો? ઇતિહાસમાં પડ્યા વિના નાટક ના થાય ? થાય જ, અલબત્ત, કોઈપણ ઈમારત ગમે એટલી સુંદર હોય, પણ એનો પાયો મજબૂત હોવો જોઈએ. ઇતિહાસ એ સંસ્કૃતિનો, સફળતાનો અને ભવિષ્યનો એવો પાયો છે, જેની સંક્ષિપ્ત જાણકારી આપણી માન્યતાઓને આપણા કન્સેપ્ટને ક્લીયર કરે છે.
ભવાઈના જનક – અસાઈત ઠાકર :
14મી સદીમાં અલ્લાઉદ્દીન ખીલજીના શાસનમાં જહાનરોજ નામનો મુસલમાન સરદાર દિલ્હીથી ગુજરાત પર ચઢી આવ્યો. ઉંઝા ગામના હેમાળા પટેલની દીકરી ગંગાના રૂપ-ગુણની પ્રશંસા સાંભળીને તેણે પોતાના સિપાઈઓ મોકલીને ગંગાનું અપહરણ કરાવ્યું. ગામના કથાકાર રાજારામ ઠાકરના દીકરા આસાઈત ઠાકરે ત્યાં જઈને સરદારને કહ્યું કે, ગંગા તેની દિકરી છે. તે સમયે બ્રાહ્મણો પોતાનાથી ઉતરતી કોમ સાથે ક્યારેય જમતા નહિ. સરદારે ખાતરી કરવા અસાઈતને ગંગા સાથે ભોજન લેવા કહ્યું અને ઉત્તમ હેતુ સાથે અસાઈત ઠાકરે ગંગા સાથે ભોજન લઈ તેને સરદારની પકડમાંથી છોડાવી. પણ આ જાણીને બ્રાહ્મણ કોમે તેમને નાત-બહાર મૂક્યા. સિદ્ધપુર છોડી અસાઈત ત્રણ પુત્રો સાથે ઉંઝા આવી વસ્યા, જ્યાં હેમાળા પટેલે તેમને ઘર બંધાવી આપ્યા અને કડવા પાટીદાર જ્ઞાતિએ તેમને જમીન અને તામ્રપત્ર બક્ષી, વંશપરંપરાગત અમુક હકો લખી આપ્યા.
અહીં તેઓએ ભવાઈના લગભગ 360 વેશો લખ્યા, જેમાંથી 60 જેવા વેશો તેમના નામે મળ્યા છે, જેમાં તેમણે ઈ.સ.1360ની તારીખ લખી છે. ત્રણ પુત્રોના ઘર પરથી ‘ ત્રિઘરા’ કહેવાયા, અને અપભ્રંશ થતાં ‘તરગાળાં’ કહેવાયા.
ભવાઈનું માળખું :
વેશોના ત્રણ પ્રકાર છે : 1. સામાજીક વેશ : જૂઠણ, પઠાણ-બામણી, કજોડો, વિગેરે 2. પૌરાણિક વેશ : કાન-ગોપી, શંકર-પાર્વતી, વિગેરે. 3. ઐતિહાસિક વેશ : જસમા-ઓડણ, વિકો સિસોદીઓ, વિગેરે.
દરેક વેશમાં વાર્તા ભલે જૂદી હોય, પણ મુખ્ય પાત્રોમાં નાયક-નાયિકા અને વિદૂષક તો હોય જ. ભાઈઓની ભવાઈ મંડળીમાં ભાઈઓ જ બહેનોનું પાત્ર આબેહૂબ ભજવતા. મંડળીના નેતાને ‘મુખી’ કે ‘નાયક’ કહેતા. અસાઈતની ભવાઈ રચનાઓ પર પ્રાચીન નાટકો, પુરાણ કથાઓની અસર હતી. ગામના ચાચરમાં એટલે કે ચોકમાં ભવાઈ વર્તુળાકારે ભજવાતી. ગીત-સંગીત અને ગાયન-વાદનનું પ્રભુત્વ હતું. રાતના પહેલા પ્રહરથી સવારના આખરી પ્રહર સુધીના સમય પ્રમાણેના રાગો ગવાતા : સોહની, બિલાવલ, માઢ, આશાવારી, દેશ પ્રભાતિ, વિગેરે. ભવાઈ રમવા નવથી ઓછા નહિ અને વીસથી વધારે નહિ, એવા ગરાસ વહેંચી લેવાતા.
ભવાઈના આ જનક-અસાઈત ઠાકરની કવિત્વ-શક્તિ, લય, છંદ, માત્રા, નર્તન, સંવાદો, ગીતોની અસામાન્ય પ્રતિભા સાથે પ્રેક્ષકોની સમજણ અને કક્ષા પણ કેટલી ઊંચી હશે?
ભૂંગળ – ભવાઈનું અવિભાજ્ય અંગ : ત્રાંબાની બનેલી ભૂંગળના બે પ્રકાર છે, નર અને માદા. ધીમી ગતિના ષડજના સૂર માટે નર ભૂંગળ અને ઉપરના સૂર માટે માદા ભૂંગળ. ભૂંગળ એટલે ભવાઈ માટે લોકોને ભેગા કરવાનું વાદ્ય.
ભવાઈ એક સંપૂર્ણ નાટ્ય-કલા છે.
-લતા શાહ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.